અલવિદા….
મિત્રો,
અમેરિકામાં રહીને ફક્ત સમય પસાર કરવાના ઉદ્દેશથી શરુ કરેલ બ્લોગ પ્રવ્રુત્તિએ મને આપ સૌ જેવા સહ્રદયી મિત્રો મેળવી આપ્યા છે.આપ સૌની હુંફથી અમેરિકાનિવાસ નો સમય ખુબ જ સારી રીતે પસાર થયો અને પ્રમાણમાં ખુબ સારી સર્જન પ્રવ્રુત્તિ થઈ શકી તે માટે આપ સૌનો તહે-દિલથી આભાર માનું છું.આપ સૌને જણાવું કે હવે અમેરિકામાં રહેવાની મુદત પુરી થઈ છે એટલે આવતીકાલે,શનિવારે માત્રુભૂમિ,ભારત તરફ પ્રયાણ કરવાનો છું. ભારત,પાલનપુર પહોંચીને ઇન્ટરનેટ જોડાણની વ્યવસ્થા થાય ત્યાં સુધી અલવિદા….
આવજો.
‘મન’ પાલનપુરી (મનહર એમ.મોદી)
2 comments October 31, 2009
છાની છપની વાત
નવા વર્ષના નૂતન પ્રભાતે એક નવી ગઝલથી શુભ શરૂઆત કરું છું.આશા રાખું છું કે ગત વર્ષે મળ્યો એવો અને એથી યે અદકો પ્રેમભાવ અને પ્રતિભાવ નવા વર્ષમાં પણ મળતો રહેશે.
છાની છપની વાત કોઇ થાય છે,
ગામ આખામાં પછી ચર્ચાય છે.
આમ તો ઈચ્છા કદી ખૂટતી નથી,
પણ,બધી ઈચ્છા પુરી ક્યાં થાય છે !
આપણે તો હોય રોકી રાખવું,
જે જવાનું હોય તે તો જાય છે.
હોય ઘરનાં તો હ્રદય ખાલી કરું,
પારકાંને ક્યાં બધું કહેવાય છે ?
‘મન’મને પણ થાય કે કહિ દઉં બધું,
જીભ જાણે કેમ, પણ અચકાય છે.
17 comments October 19, 2009
સાલ મુબારક
સર્વે બ્લોગ મિત્રોને નવા વર્ષની હાર્દિક વધામણી.નવું વર્ષ સૌને સુખ,શાંતિ અને સમ્રુધ્ધિ આપનારું નીવડે એવી શુભેચ્છા સાથે સૌને ‘સાલ-મુબારક’. આ શુભ પ્રસંગે એક શુભ સમાચારઃ
ગયા રવિવારે (11th october,2009)અહિં અમેરિકામાં ગુજરાત દર્પણ સાહિત્ય સભામાં મહેમાન તરીકે હાજરી આપવાની તક મળી. મજાની વાત તો એ બની કે તે દિવસે મુખ્યમહેમાન હતા ગુજરાતી સાહિત્યના એક સુપ્રસિદ્ધ વયોવ્રુદ્ધ લેખક અને રેશનાલીસ્ટ પ્રવ્રુત્તિના સૂત્રધાર એવા શ્રી રમણ પાઠક જેઓની ‘રમણ ભ્રમણ’ કોલમ ખુબ જાણીતી છે.એવા મહાનુભાવ સાથે બેસવાનો લાભ મળ્યો અને મારી રચના સંભળાવવાનો અવસર પણ મળ્યો.
આ પ્રસંગે મારા સુપુત્ર આશિષે લીધેલો એક ફોટો આજે આ બ્લોગના માધ્યમથી આપ સૌ મિત્રો સાથે share કરું છું.

3 comments October 17, 2009
બાવાના તો બંને બગડ્યા
પોતાના એક નાનકડા ઘર-સંસારનો ત્યાગ કરી ને ઘણાખરા સાધુ-સન્યાસી મોટા વિશાળ ભક્ત સમુદાય- સંપ્રદાય-મઠ-આશ્રમ જેવા સંસાર વસાવે છે. એ હકીકતને અનુલક્ષીને એક પંક્તિ સૂઝીઃ ‘છોડ્યા થોડા, ઝાઝા પકડ્યા’ અને આ પંક્તિની આંગળી ઝાલીને પાંચ શેરની એક ‘હઝલ’નો જન્મ થયો તે આપ સૌ મિત્રો સમક્ષ આપના પ્રતિભાવોની અપેક્ષા સાથે આ બ્લોગ ના માધ્યમથી રજુ કરું છું.
છોડ્યા થોડા,ઝાઝા પકડ્યા
બાવાના તો બંને બગડ્યા.
બિલ્લીને તો જલ્સા છે ભૈ,
બંદર બંદર છોને ઝગડ્યા.
‘મા’ના મોતે રડ્યો નહિ પણ,
પોક મૂકી જો શેરો ગગડ્યા.
લાંબી ટૂંકી કરવામાં તો,
ભઈના વાજાં હજી ના વગડ્યા.
‘મન’ની તો કાળાશ મટી ના,
સાબુ પાણી ખાસ્સા રગડ્યા.
16 comments September 26, 2009
વાત જે વર્ષો સુધી કહેવાઈ ના
વાત જે વર્ષો સુધી કહેવાઈ ના,
કેમ જાણે આજ એ રોકાઈ ના !
જે હતી કાલે દશા આજે ય છે,
કેમ એ પહેલાં તને દેખાઈ ના?
હું તને મારો ગણી રાજી થતો,
કોઈનાથી એ ખુશી સહેવાઈ ના.
આ નજરથી હું જગત જોતો રહ્યો,
પણ મને એની લીલા સમજાઇ ના.
‘મન’ વગર તો માળવે પહોંચાય શું ?
એની સમજમાં આવી આ સચ્ચાઇ ના
15 comments September 15, 2009
તારી દુવાઓ
હવે એવી અસર ક્યાંથી કરે તારી દુવાઓ !
ધરાવે છે કશી ઇર્ષા હવે તારી દુવાઓ.
નથી પહેલાં સમી તારી અમીભર આંખડી પણ,
જમાનો જોઈને કરવટ ફરે તારી દુવાઓ.
કહો કે ના કહો, એ વાતમાં કંઇ તથ્ય તો છે,
નહીં તો કેમ ખાલી જાય છે તારી દુવાઓ !
ખુદા પણ જો ભળી જાયે હરીફોમાં પછી તો,
બિચારી કેટલે પહોંચી શકે તારી દુવાઓ.
નથી પડતું કદી સીધું હવે એકેય પાસું,
મનો’મન’ તું તપાસી લે ભલે તારી દુવાઓ.
10 comments August 22, 2009
ગઝલનો તાલ
તમે દેતા રહો મારી ગઝલને દાદ,બસ
પછી જોતા રહો મારી ગઝલનો તાલ,બસ.
અચાનક છાઈ ચ્હેરા પર ઉદાસી કેમ છે !
કશું આવી ગયું જાણે અજાણે યાદ,બસ.
જગત આખું મને ભૂલી જશે તો ચાલશે,
સદા રહેજો તમે દિલમાં કરીને વાસ,બસ.
નથી પરછાંઇનો એમાં જરાયે વાંક પણ,
હશે અજવાસ દેશે ત્યાં સુધી એ સાથ,બસ.
વતન જેવું મને લાગી રહ્યું પરદેશમાં,
મળે સૌ આપણાં, તો ‘મન’ રહે છે શાંત,બસ.
9 comments August 8, 2009
ફારસીના બે શેર
હું અમેરીકામાં જ્યાં રહું છું તે એરિયા SOUTH BRUNSWICK માં એક લાયબ્રેરી છે. જેનું નામ SOUTH BRUNSWICK PUBLIC LIBRARY (SBPL) છે. ત્યાં થોડાંક ગુજરાતી પુસ્તકો પણ છે. તેમા સ્વ. શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહેબનું એક પુસ્તક મળ્યું, “દેશ પરદેશ “. પરદેશની લાયબ્રેરી માં આપણા ગુજરાતી લેખક્નું પુસ્તક જોવા મળે તો સ્વાભાવિક જ એક ગુજરાતી તરીકે આનંદ થાય અને તેમાં ય આ બક્ષી સાહેબ તો અમારા પાલનપુરના, હમવતન. એટલે આનંદ બેવડાઈ ગયો. પુસ્તક વાંચતાં એક લેખ નીચે તેઓશ્રીએ ફારસીના બે શેર ગુજરાતી તરજૂમા સાથે મૂક્યા હતા તે ગમી ગયા એટલે આપ સૌની સાથે share કરવા અહીં મૂકું છું.
ફારસી કવિ “હાફિઝ” શિરાઝીના “ફાલનામા” (ભવિષ્યવાણી)માંથી બે શેર ઃ
અબલહનરા હમા શરબત ઝે ગુલાબો કંદસ્ત
ક્રુતે દન હમ અઝ ખૂને જિગર ભી બિનમ
(અર્થ ઃ મૂર્ખ અને નાલાયક લોકોને સ્વાદિષ્ટ ભોજન અને શરબત મળી રહ્યાં છે, જ્યારે વિદ્વાન અને લાયક લોકોને હું પોતાના જિગરનું લોહી પીતાં જોઇ રહ્યો છું)
-અસ્પેતાઝી શુદેહ મજરૂહ બઝીરે પાલાં
તોકે ઝરી હમાદર ગર્દને ખર બી નમ
(અર્થ ઃ તુર્ક નસ્લનો જાતવાન ઘોડો ચાબૂકના મારથી જખમી થયો છે, જ્યારે ગધેડાના ગળામાં જરીના પટ્ટા જોઇ રહ્યો છું.)
6 comments July 27, 2009
કહે શું, કરે શું !
કહે શું, કરે શું !
ભરોસો રહે શું !
અલગ છે જગતથી
હસે કે રડે શું !
ધરી મૌન બેઠા
ખબર પણ પડે શું !
શુકન અપશુકન પણ
ખરેખર નડે શું ?
સમી સાંજે સૂરજ
ઉગે તે બને શું ?
પતંગા બળે તો,
શમા ના જલે શું !
વગર ‘મન’ની પૂજા
કરે- ના કરે શું !
9 comments July 7, 2009
ખલીલ સાહેબના ઉર્દુ શેર
શુદ્ધ ગુજરાતીમાં સમજાવું છું હું,
તો ય ના સમજાય તો કહેજે મને.
ખલીલ સાહેબ ગુજરાતીમાં તો સમજાવે છે જ પણ ઉર્દુમાં પણ એટલું જ સરસ સમજાવે છે. જુઓ આ એક ઉર્દુ શેર ;
અબ મૈં રાશનકી કતારોંમેં નજર આતા હું,
અપને ખેતોંસે બિછડનેકી સજા પાતા હું.
આ ઉર્દુ શેર આપણા લાડીલા ગુજરાતી શાયર શ્રી ‘ખલીલ’ ધનતેજવી સાહેબની ઉર્દુ ગઝલનો છે. અને આ ગઝલને પ્રસિદ્ધ ગઝલ ગાયક જગજીતસીંઘે પોતાના મધુર અવાજથી શણગારી છે
આજે આપણા આ ગુજરાતી શાયરની ઉર્દુ ગઝલોના કેટલાક ચુનંદા શેર આપ સૌની સેવામાં રજુ કરવાની ઇચ્છા છે.
સિર્ફ મંઝીલ હી હમે અચ્છી લગી ઐસા નહીં
હમસફર અચ્છે મિલે તો રાસ્તે અચ્છે લગે.
0
મૈં સોચું હમ દોનોં મિલકર બાગ બનાયે આંગનમેં,
વો આંગન કે ટૂકડે કરને ફિરતા હૈ દિવાર લીયે.
00
માના કિ જિંદગી સે બહુત પ્યાર હૈ મગર,
કબ તક રખોગે કાંચ કા બરતન સંભાલ કે!
000
મૈં અપને ઘરકી યૂં તન્હાઈયાં સંવારુંગા,
તમામ આઇને દિવારસે ઉતારુંગા.
0000
દૌલત બટી તો ભાઇયોંકા દિલભી બંટ ગયા,
જો પેડ મેરે હિસ્સેમેં આયા, વો ભી કટ ગયા.
00000
4 comments July 1, 2009